દિલ નહીં દિમાગને સોંપો તમારી બાગડોર
નેહા ૩૫ વર્ષની વર્કિંગ વુમન, પણ એનો સ્વભાવ થોડો ઉગ્ર હોવાને કારણે વારંવાર એને ગુસ્સો આવી જતો. આ કારણસર ઓફિસમાં અને ઘરમાં પણ સૌ એનાથી નારાજ રહેતાં. એણે કંઇ સારું કામ કર્યું હોય છતાં એની પ્રશંસા કરતાં બધાં અચકાતા. એને સમજાતું નહીં કે પોતે શું કરે?
આવું જ થોડાઘણા અંશે નમિતાના કિસ્સામાં બનતું. એને લાગતું કે પોતે ગમે તેટલી સારી રીતે ઘર ચલાવે છતાં એનાં સાસુને સંતોષ થતો નહીં. નમિતાનાં સાસુનું મોં કાયમ ચડેલું જ હોય. એને પણ સમજાતું નહીં કે પોતે શું કરે કે સાસુ ખુશ રહે? આ બંને કિસ્સામાં નામ અને કામનો તફાવત છે, પણ સમસ્યા બંનેની લગભગ સમાન છે. સવાલ એ છે કે તેમનો ઈક્યુ (ઈમોશનલ ક્વોશન્ટ) આઈક્યુ (ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ) પર હાવી થઈ જતો હતો, પરિણામે તેઓ સારું કામ કરતાં હોવા છતાં માર ખાઈ જતાં હતાં. સામાન્ય રીતે સ્ત્રીઓનું ભાવનાત્મક સ્તર ઘણું ઊચું હોવાથી તેઓ મોટાભાગના નિર્ણયો દિલથી લે છે, દિમાગથી નહીં, પરિણામે ઘણી વાર તેમનું મેરિટ સારું હોવા છતાં પ્રમોશન મેળવવામાં કે સફળતા મેળવવામાં પાછા પડી જતાં હોય છે. જેમ કે નેહાની જ વાત કરીએ તો ઓફિસમાં તેનો ગુસ્સો જ તેનો માઈનસ પોઈન્ટ બની ગયો હતો, પરિણામે તેનું સારું પરફોર્મન્સ પણ દબાઈ જતું હતું. સ્વાભાવિક છે કે તેના લીધે તે પ્રમોશન જેવા લાભથી વંચિત રહી જાય. આપણામાંથી ઘણાબધાં આવી સમસ્યા અનુભવતાં હોય છે.ઓછું ભણેલાં હોય કે સુશિક્ષિત દરેકને ભાવનાત્મક સ્તરે કયારેક તો આવી કટોકટીનો સામનો કરવો પડે છે. મનોવૈજ્ઞાનિકોના મતે, સફળતા મેળવવા માટે મહેનત અને આવડતની સાથે વ્યક્તિને પોતાની ભાવના પર નિયંત્રણ રાખતાં પણ આવડવું જોઇએ. અહીં સફળતાનો અર્થ માત્ર કરિયર કે દાંપત્યની બાબતમાં જ નથી, પણ જીવનના દરેક પાસાં સાથે જોડાયેલો છે. આપણને નાનપણથી આપણી ભાવના પર નિયંત્રણ રાખવાનું શીખવવામાં આવે છે. નાની નાની વાતમાં રડવાનું નહીં, ગુસ્સે નહીં થવાનું, સામે જવાબ નહીં આપવાનો વગેરે રીતે નાનપણથી જ આપણા મનમાં નકારાત્મક બાબતોને ખાસ મહત્વ ન આપવાનું શીખવવામાં આવે છે, જે તેના જીવનમાં વણાઈ જાય છે.
મનોવિજ્ઞાનમાં કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે, ભારતીય સમાજમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ ભાવનાત્મક રીતે વધારે સંતુલિત હોય છે. તેનું કારણ તેમને નાનપણથી જ એ પ્રમાણે ઉછેરવામાં આવતી હોવાથી તેઓ કોઇ પણ પરિસ્થિતિ અને સંજોગોને સહેલાઇથી અનુકૂળ થઇ જાય છે. તેમ છતાં જીવનના મહત્વના પ્રસંગોએ તે પોતાની લાગણીઓને દબાવી શકતી નથી અને તેના માઠા પરિણામો તેણે ભોગવવાનો વારો આવે છે. એટલે જ આપણી લાગણીઓ પર આપણે નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે અને તે આપણા જ હાથમાં છે. એકલાં હોઇએ ત્યારે આત્મવિશ્લેષણ દ્વારા પોતાની લાગણીઓનું મૂલ્યાંકન કરીને ભાવનાત્મક સ્તર પર કાબૂ મેળવી શકાય છે, જેમ કે નેહા એવો નિર્ણય કરે કે ઓફિસમાં જ્યારે પણ ગુસ્સે થવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે તે મનોમન ઈશ્વરના નામનું રટણ કરીને કે કેન્ટિનમાં જતી રહેશે. આ રીતે લાગણી પર નિયંત્રણ રાખવાથી ધીમે ધીમે ઓફિસમાં તેની ઈમેજ સુધરશે, જે તેના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. માટે જ્યારે એવી સ્થિતિ ઊભી થાય કે ગુસ્સો આવે અથવા નકારાત્મક ભાવ મનમાં જાગે ત્યારે તત્કાળ પ્રતિભાવ ન દર્શાવો. ધીરે ધીરે તમને ભાવના પર નિયંત્રણ રાખતાં આવડી જશે. એમાંય જો તમે ઘર કે ઓફિસમાં જવાબદારીભર્યું સ્થાન ધરાવતાં હો, ત્યારે તો આ બાબત ખાસ ઘ્યાનમાં રાખવી જોઇએ. આપણે આસપાસ રહેતી વ્યક્તિઓ સાથે આપણી ભાવનાની વહેંચણી કરીને મન હળવું કરી લઇએ છીએ. આનું કયારેક વિપરીત પરિણામ પણ જોવા મળે છે કે આપણે બીજા પર ભાવનાત્મક રૂપે વધારે પડતા આધારિત થઇ જઇએ છીએ. આ સ્થિતિ પણ યોગ્ય નથી. કોઇ પણ સંબંધ કે સ્થળમાં અંગત લાગણી માટે સ્પેસ હોવી અત્યંત જરૂરી છે, પણ સાથે એ પણ ઘ્યાન રાખવું એટલું જ જરૂરી છે કે તે તમારી નિર્ણયશક્તિ પર હાવી ન થઈ જાય. આજની મહિલાઓ માટે તો આ બાબત ખાસ જરૂરી છે કેમ કે આજે મહિલાઓ એકસાથે અનેક ભૂમિકા અદા કરતી હોય છે. આવી મલ્ટિટાસ્કિંગ મહિલાઓ જો દિમાગને બદલે દિલથી જ નિર્ણયો લે તો પોતાના કોઇ કાર્યને સફળતાપૂર્વક પાર ન પાડી શકે. જોકે એનો અર્થ એવો પણ નથી કે એણે સતત સમાધાન કરતાં રહેવું. સમય અને સંજોગોને જોઈ પ્રતિક્રિયા દર્શાવતાં શીખવાનું હોય છે. તમે સાંભળ્યું હશે કે માત્ર વાતો કરવાથી પેટ નથી ભરાતું. આ જ બાબતને આપણે જરા જુદી રીતે જીવનમાં અપનાવવાની છે. તે એ રીતે કે માત્ર લાગણીમાં તણાઇને પણ પેટ નથી ભરાતું. જરૂર લાગે તો દિલને બદલે દિમાગથી વિચારીને નિર્ણય લેવાથી વધારે સારું પરિણામ મળે છે. માટે સોંપી દો દિમાગને તમારી બાગડોર.
No comments:
Post a Comment