ત્રિકોણનો ત્રીજો ખૂણો બનેલી હૈદરાબાદની આયેશા સિદ્દીકી
Source: Shefali Pandya |
શોએબ મલિક અને સાનિયા મિર્ઝાની સગાઈ સાથે શોએબ અગાઉ આયેશા સિદ્દીકી સાથે પરણી ચૂક્યો હોવાના સમાચાર ચમકયા છે. કોણ છે આ આયેશા? અત્યારે એની મનોદશા કેવી હશે?
તાજેતરમાં પાકિસ્તાનના પ્રખ્યાત ક્રિકેટર શોએબ મલિક અને ભારતની ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની સગાઇ અને તેઓ આ મહિનામાં લગ્ન કરવાનાં હોવાના સમાચાર વાંચીને તેમનાં પ્રશંસકોને આનંદ થયો હશે, પણ તે સાથે એક આંચકો પણ લાગ્યો છે. આ આંચકો હૈદરાબાદમાં રહેતી આયેશા સિદ્દીકી નામની યુવતી અને તેના પરિવારે કરેલી જાહેરાતને કારણે લાગ્યો છે.
બન્યું એવું કે જયારે શોએબ અને સાનિયાની સગાઇના સમાચાર અખબારોમાં ચમકયા, તેના બે દિવસ બાદ સિદ્દીકી પરિવારે ન્યૂઝ ચેનલો અને અખબારોને જણાવ્યું કે સાનિયા શોએબની બીજી પત્ની છે કેમ કે શોએબે તો સદ્દિીકી પરિવારની આયેશા નામની યુવતી સાથે ૨૦૦૨ની સાલમાં નિકાહ કર્યાં હતાં. તે સાથે શોએબ, સાનિયા અને આયેશા ત્રિકોણના એવા ત્રણ ખૂણા બની ગયા છે કે કોણ કોની સાથે જોડાયેલા છે, તે જાણવું મુશ્કેલ બની રહ્યું છે. એમાંય હવે તો આયેશા સિદ્દીકી તરફથી નિકાહનામું પણ રજૂ કરવામાં આવ્યું છે.
આ સમાચાર ચેનલો અને વાચકોને માટે તો પૂરતો મસાલો પૂરો પાડી રહ્યા છે, પણ એક સ્ત્રી તરીકે આયેશાની મનોસ્થિતિ વિશે કોઇને કંઇ કલ્પના આવે છે ખરી? શોએબ મલિકે તો પોતે આયેશા સાથે નિકાહ ન કર્યા હોવાનું જણાવ્યું છે, પણ આયેશાની સ્થિતિનો કોઇ વિચાર નથી કરતાં. પોતે જેની સાથે ટેલિફોનિક નિકાહ કબૂલ કર્યાં છે, એ પુરુષ જયારે એમ કહે કે પોતે આ નિકાહ કર્યા નથી, ત્યારે એ કોને કહેવા જાય?
એ તો ઠીક, પણ નિકાહનામાની રજૂઆત અને પોતાને મહેરની રકમ પણ પાકિસ્તાનના પાંચસો રૂપિયા મળ્યા હોવાની જાહેરાત કર્યા પછી પણ તેને એવું સાંભળવા મળે કે ‘આયેશા સારી અને પ્રતિભાશાળી યુવતી છે, પણ તે કેટલાક લોકોની વાતોમાં આવીને ગેરમાર્ગે દોરાઇ રહી છે.’ ત્યારે એ યુવતીના દિલને કેવી ઠેસ પહોંચી હશે? કોઇ પણ યુવતી- ભલે પછી એ ગમે તે દેશ કે શહેરની હોય - જયારે એને પોતાના લગ્ન વિશે જાહેરમાં પુરાવા રજૂ કરવા પડે અને છતાં પતિ તરફથી એ તમામ પુરાવાને નર્યો રદિયો મળે, ત્યારે એ ભાંગી પડે. ખાસ કરીને જો પતિ બીજા લગ્ન માટે પોતાનો અસ્વીકાર કરી રહ્યો હોય.
આયેશાએ એમ પણ જણાવ્યું છે કે શોએબને તેનું વજન વધારે હોવાનું લાગતું હોવાથી એણે દિલ્હી આવીને ઓપરેશન પણ કરાવ્યું હતું. આટઆટલી સ્પષ્ટતા કરવા છતાં શોએબ મલિક તો પોતાની વાત પર જ અડગ છે, ત્યારે આયેશા સિદ્દીકીએ હવે એવું કહ્યું છે કે મને સાનિયા સામે કોઇ વાંધો નથી, પણ સચ્ચાઇ લોકો સામે આવવી જ જોઇએ. મને દુ:ખ એ વાતનું છે કે જે મારો પતિ છે એ જ દરેક વાત સ્વીકારવાની ના કહે છે. સિદ્દીકી પરિવારે શોએબ જો આયેશા સાથેના નિકાહની વાત સ્વીકારવા તૈયાર ન થાય તો કોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી છે. હવે આ બધાંમાં એ યુવતીની મનોદશાનો વિચાર કરો કે આ ત્રિકોણનો ત્રીજો ખૂણો કોણ બનશે?
No comments:
Post a Comment